સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કોણ છે?

ઈશ્વર કોણ છે?

બાઇબલમાંથી શીખો

ઈશ્વર કોણ છે?

આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાહના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. ઈશ્વર કોણ છે?

ઈશ્વરે બધી વસ્તુઓનું સર્જન કર્યું છે. બાઇબલ તેમને “યુગોના રાજા” કહે છે. એનો અર્થ થાય કે ઈશ્વરની કોઈ શરૂઆત નથી કે અંત નથી. (પ્રકટીકરણ ૧૫:૩) ઈશ્વર જ જીવનનો ઝરો છે, એટલે તેમની જ ઉપાસના કરવી જોઈએ.—પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.

૨. ઈશ્વરનું રૂપ કેવું છે?

ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. તેમનું શરીર હાડ-માંસનું બનેલું નથી. (યોહાન ૧:૧૮) ઈશ્વરે બનાવેલી વસ્તુઓમાંથી તેમના ગુણો જોવા મળે છે. દાખલા તરીકે, આપણે જાત જાતના ફળ-ફૂલ જોઈએ છીએ ત્યારે એમાં તેમનો પ્રેમ અને ડહાપણ દેખાઈ આવે છે. આકાશ તરફ નજર કરીએ ત્યારે એમાં તેમની અપાર શક્તિના દર્શન થાય છે.રૂમી ૧:૨૦ વાંચો.

બાઇબલમાંથી આપણને ઈશ્વરના ગુણો વિષે વધારે શીખવા મળે છે. દાખલા તરીકે, ઈશ્વરને શું ગમે છે અને શું નથી ગમતું. તેમ જ તે જુદા જુદા સંજોગોમાં કેવી રીતે વર્તે છે.ગીતશાસ્ત્ર ૧૦૩:૭-૧૦ વાંચો.

૩. શું ઈશ્વરનું નામ છે?

ઈસુએ કહ્યું: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ (માત્થી ૬:૯) ઈશ્વરના ઘણા ખિતાબો છે, પણ નામ ફક્ત એક જ છે. લોકો પોતાની ભાષા પ્રમાણે એ નામનો ઉચ્ચાર કરે છે. ગુજરાતીમાં યહોવાહ અથવા યાહવે બોલે છે.ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચો.

દુઃખની વાત છે કે આજે ઘણા બાઇબલ અનુવાદોમાંથી એ નામ કાઢી નાખવામાં આવ્યું છે. એને બદલે પ્રભુ કે ઈશ્વર જેવા ખિતાબો મૂકી દીધાં છે. પણ બાઇબલ લખાયું ત્યારે એમાં લગભગ ૭,૦૦૦ વખત યહોવાહ નામ હતું. ઈશ્વર વિષે શીખવતી વખતે ઈસુએ એ નામ લોકોને જણાવ્યું હતું. આમ, ઈસુએ ઈશ્વરને વધુ સારી રીતે ઓળખવા તેઓને મદદ કરી હતી.—યોહાન ૧૭:૨૬ વાંચો.

૪. શું યહોવાહને આપણી પડી છે?

યહોવાહને આપણામાં રસ હોવાથી તે આપણી પ્રાર્થના સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) દુનિયામાં દુઃખ-તકલીફ હોવાનો શું એવો અર્થ થાય કે ઈશ્વરને આપણી કોઈ પરવા નથી? અમુક દાવો કરે છે કે ઈશ્વર આપણી કસોટી કરવા દુઃખ લાવે છે. પણ બાઇબલ એવું શીખવતું નથી. એ કહે છે: ‘ઈશ્વર દુષ્ટતા કરતા જ નથી.’ એટલે કે ઈશ્વર આપણા પર દુઃખો લાવતા નથી.—અયૂબ ૩૪:૧૨; યાકૂબ ૧:૧૩ વાંચો.

ઈશ્વર માણસોને કીમતી ગણે છે, એટલે આપણને પસંદગી કરવાનો હક આપ્યો છે. એની કદર બતાવવા શું આપણે ઈશ્વરને ભજવું ન જોઈએ! (યહોશુઆ ૨૪:૧૫) આજે દુઃખ-તકલીફો વધી રહી છે, કારણ કે ઘણા લોકો જાણીજોઈને બીજાનું બૂરું કરે છે. પણ એ બધું જોઈને ઈશ્વરને ખૂબ દુઃખ થાય છે.—ઉત્પત્તિ ૬:૫, ૬ વાંચો.

યહોવાહ જલદી જ ઈસુની મદદથી આ દુનિયાના દુઃખો અને એના માટે જવાબદાર લોકોને મિટાવી દેશે. ત્યાં સુધી યહોવાહ દુઃખ-દર્દ ચાલવા દેશે. એમ કરવા પાછળ તેમની પાસે યોગ્ય કારણ છે. હવે પછીના કોઈ અંકમાં એ વિષે વધુ જણાવશે.યશાયાહ ૧૧:૪ વાંચો.

૫. ઈશ્વર આપણી પાસેથી શું ઇચ્છે છે?

યહોવાહે આપણને તેમને ઓળખવાની અને પ્રેમ કરવાની ક્ષમતા આપી છે. તે ચાહે છે કે આપણે તેમના વિષે સત્ય શીખીએ. (૧ તીમોથી ૨:૪) બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે ઈશ્વર સાથે દોસ્તી બાંધી શકીશું.નીતિવચનો ૨:૪, ૫ વાંચો.

ઈશ્વરે આપણને જીવન આપ્યું છે. એ કારણથી આપણે તેમને સૌથી વધારે પ્રેમ બતાવવો જોઈએ. એ પ્રેમની સાબિતી આપવા પ્રાર્થના કરીએ અને તેમના કહેવા પ્રમાણે ચાલીએ. (નીતિવચનો ૧૫:૮) યહોવાહ ચાહે છે કે આપણે બીજાની સાથે પ્રેમથી વર્તીએ.—માર્ક ૧૨:૨૯, ૩૦; ૧ યોહાન ૫:૩ વાંચો. (w11-E 02/01)

વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પહેલું પ્રકરણ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૯ પર ચિત્ર]

ઈશ્વરે થોડા સમય માટે દુઃખ-તકલીફો ચાલવા દીધી છે, એની પાછળ શું યોગ્ય કારણ હોઈ શકે?